મૃગીકુંડ સ્નાનના વિવાદ બાદ કુખ્યાત કીર્તિ પટેલ હવે સોશિયલ મીડિયા દ્વારા ઈન્દ્રભારતી બાપુ પર ગંભીર આરોપો લગાવી રહી છે. જેલ સુધી જઈ ચૂકેલી કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી છે. આ પોસ્ટમાં તેણે પૂરાવા સાથે ઈન્દ્રભારતીની હકીકતનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. મૃગીકુંડ વિવાદ બાદ પોતાના પાપ છૂપાવવા માટે કુખ્યાત કીર્તિ પટેલ હવાતિયા મારી રહી છે.
કીર્તિ પટેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો, જેમાં તેણે કહ્યું – “કોઇની મનમાં ને મનમાં ન રહી જાય, કે કીર્તિ પટેલ કઈ બોલી નહીં, રાતે 9 વાગે યુટ્યુબ પર હું લાઇવ કરીશ, અને તમારા પ્રશ્નોના હું બધા જ જવાબ આપીશ. હું મારા જવાબ તો આપીશ જ, પણ જેને પેટમાં દુઃખતું હતું ને એ કચ્છથી લઈને મુંબઈથી લઈને જુનાગઢ સુધીની સ્ટોરી પણ હું કહીશ. બધા જ પ્રૂફ સાથે, કાગળ સાથે, તો જ હા. સનાતન ધર્મને ખોટા માર્ગે લઈ જાય છે, કોણ-કોણ લઈ જાય છે, એ પણ હું કહીશ. અને આ સન્યાસી લોકોમાં કેટલા લોકોએ કઈ રીતે સન્યાસ લીધો છે એ બધુ જ કહીશ.”
સોશિયલ મીડિયાને પોતાનું હથિયાર બનાવીને બેફામ બનેલી કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુ અને તેમના ચેલાઓ પર નિશાન સાધીને ગંભીર આરોપ લગાવ્યા છે. કીર્તિ પટેલે ઈન્દ્રભારતી બાપુને સંબોધીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને પૂરાવા સાથે ઈન્દ્રભારતી બાપુની હકીકતનો પર્દાફાશ કરવાનો ઉલ્લેખ કર્યો છે. તેણે ઈન્દ્રભારતીને ગુરુ બનાવો તો આંગળી પકડીને સ્નાન કરવા લઈ જતા હોવાનો આરોપ લગાવ્યો છે.
તેણે ઈન્દ્રભારતીના અને અન્ય સાધુના ચેલાની કરતૂતો પરથી પડદો ઉંચકવાનો દાવો કર્યો. સાથે જ સ્વાભિમાનની માટે ઈન્દ્રભારતીને અરીસો બતાવવાની વાત કરી. જો કે આ તમામ ગંભીર આરોપો સામે ઈન્દ્રભારતી બાપુ હજુ સુધી મૌન છે. કીર્તિ પટેલ દ્વારા લગાવવામાં આવેલા આ આરોપો અંગે ઈન્દ્રભારતી તરફથી કોઈ જ પ્રતિક્રિયા આવી નથી.
જુનાગઢના મેળામાં રવેડી પૂરી થયા પછી સાધુઓ મૃગીકુંડમાં શાહી સ્નાન કરી રહ્યા હતા. એ સમયે કીર્તિ પટેલ પણ સાધુઓની વચ્ચે પહોંચી ડૂબકી લગાવતી જોવા મળી હતી. તે ‘હર હર મહાદેવ’ના નાદ સાથે સ્નાન કરતા હોવાના દ્રશ્યો સામે આવતા જ વાતાવરણ ગરમાયું હતું. ઘટનાની જાણ થતાં તંત્ર તરત જ સક્રિય બન્યું અને તેને મેળા પરિસરમાંથી બહાર હાંકી કાઢવામાં આવી હતી. આ ઘટનાએ મોટો વિવાદ સર્જ્યો હતો.